Luke 9

1ઈસુએ [પોતાના] બાર [શિષ્યો]ને બોલાવીને તેઓને સઘળા અશુદ્ધ આત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં; 2ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા.

3ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી મુસાફરીને સારુ કંઈ લેતા સારું કંઈ લેતા નહિ; ન લાકડી, ન થેલી, ન રોટલી, ન નાણાં વળી, બે જોડી કપડાં પણ લેશો નહિ. 4જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો.

5તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.’ 6અને શિષ્યો [ત્યાંથી] નીકળ્યા, અને ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજા કરતા બધે ફરવા લાગ્યા.

7જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગુંચવણમાં પડ્યો, કેમ કે કેટલાએક એમ કહેતા હતા કે, મૃત્યુ પમેલો યોહાન ફરી પાછો આવ્યો છે.’ 8કેટલાક કહેતા હતા કે, ‘એલિયા પ્રગટ થયો છે’; અને બીજાઓ કહેતા હતા કે, ‘પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.’ 9હેરોદે કહ્યું કે, ‘યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?’ અને હેરોદ ઈસુને મળવા ઉત્સુક બની ગયો.

10પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા. 11લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળા તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા.

12દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર [શિષ્યોએ] આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’ 13ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’ શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી.અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’ 14કેમકે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.

15શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા. 16પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી. 17તેઓ જમ્યા, અને સર્વે તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી.

18એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’ 19શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક [કહે છે] કે, એલિયા; અને બીજા [કહે છે] કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછો સજીવન થયેલ પ્રબોધક.’

20ઈસુએ તેઓને કહ્યું કે, ‘પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?’ પિતરે ઉત્તર આપતા કહ્યું કે, ‘ઈશ્વરના ખ્રિસ્ત.’ 21પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, ‘એ વાત કોઈને કહેશો નહિ.’ 22વળી, ઈસુએ તેઓને કહ્યું કે, ‘માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.’

23ઈસુએ બધાને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા માગે છે, તે તેને ખોશે; પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે. 25જો કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ?

26કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે શરમાશે. 27હું તમને ખાતરીથી કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ.

28એ વચનો કહ્યાને આસરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા. 29ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્ત્ર ઉજળાં [તથા] ચળકતાં થયાં.

30અને, જુઓ, બે પુરુષ, એટલે મોઝિસ તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા. 31તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરૂશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા.

32હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનું ગૌરવ જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા. 33તેઓ ઈસુની પાસેથી વિદાય થતા હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ માંડવા બનાવીએ, એક તમારે સારુ, એક મોઝિસને સારુ, અને એક એલિયાને સારુ; પણ પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો.

34તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા. 35વાદળામાંથી એવી વાણી થઈ કે, ‘આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.’ 36તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ.

37બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણા લોકો ઈસુને મળ્યા. 38અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, ‘ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દ્વષ્ટિ કરો. કેમકે તે મારો એકનોએક પુત્ર છે; 39એક [અશુદ્ધ] આત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે. 40તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.’

41ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.’ 42તે આવતો હતો એટલામાં અશુધ્ધ આત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો.

43ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, 44‘આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમકે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.’ 45પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી.

46શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, ‘આપણામાં કોણ સૌથી મોટો છે?’ 47પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું, 48ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે.’

49યોહાને ઉત્તર આપતા કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે ભૂત કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.’ 50પણ ઈસુએ તેને કહ્યું કે, ‘મના ન કરો, કેમકે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.’

51એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરૂશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. 52ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા. 53પણ ઈસુ યરૂશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ.

54તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, ‘પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે આકાશથી આગ પડીને તેઓનો નાશ કરે?’ 55ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યા. 56અને તેઓ બીજે ગામ ગયા.

57તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.’ 58ઈસુએ તેને કહ્યું કે, ‘શિયાળને બોડ હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.’

59ઈસુએ બીજાને કહ્યું કે, ‘મારી પાછળ આવ.’ પણ તેણે કહ્યું કે, ‘પ્રભુ મને રજા આપ કે પહેલાં જઈને મારા પિતાને દફનાવું.’ 60પણ તેમણે કહ્યું કે, ‘મૂએલાંઓને પોતાનાં મૃત્યુ પામનારને દફનાવવા દે. પણ તું જઈને ઈશ્વરના રાજ્ય[[ની વાત] પ્રગટ કર.’

61અને બીજાએ પણ કહ્યું કે, ‘હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.’ પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.’

62

Copyright information for GujULB